વલસાડના કલવાડા ગામે પાટીદાર સમાજ દ્વારા પાટીદાર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ . આ ટુર્નામેન્ટ થકી સમાજે રુ . ૧૯.૩૦ લાખ જેટલી માતબર રકમ એકત્ર કરી હતી, જેનાથી એક ૩ વર્ષની બાળકીના ભવિષ્યનું સશક્તિકરણ કરાયું છે. વલસાડના નાના ઠક્કરવાડા ગામે રહેતો પાટીદાર યુવાન રોનક શિરીષભાઈ પટેલનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું . જેની ૩ વર્ષની પુત્રી પરથી પિતાનો સાયો ઉઠી જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું . ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ પરિવારના ઉત્થાન માટે કલવાડાના યુવાનો આગળ આવ્યા હતા . ખાસ કરીને મૂળ કલવાડા ગામના એનઆરઆઇ એવા જયેશભાઇ અમરતભાઇ પટેલ અમેરિકાથી ખાસ વલસાડ આવ્યા હતા . તેમણે ક્લવાડા ગામે ડી ઝેડ પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાજના યુવાનો માટે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજ ન કર્યું હતું . આ ક્રિકેટ ટુર્નામેન્ટનો તમામ ખર્ચ તેમણે જાતે કર્યો હતો . જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ આવક રોનકના પરિવારને અર્પણ કરવાનું નક્કી કરાયું હતુ . આ ટુર્નામેન્ટમાં સમાજના લોકોએ ઉદાર હાથે ફાળો આપ્યો અને રુ . ૧૯.૩૦ લાખની માતબર રકમ એકત્ર કરી હતી . આ રકમ મૃતક રોનકની ૩ વર્ષિય પુત્રીના નામે બેંકમાં મુકી તેનું ભવિષ્ય ઉજ્વળ કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદેશ્ય જોઈ સોનવાડા ગામના રમેશભાઇ પટેલના પરિવારે બાળકીના આજીવન ભણતર અને તેણીના લગ્નનો ખર્ચ પણ કરવાની જાહેરાત કરી હતી . વલસાડના કલવાડા ગામે યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો . જેમાં લીલાપોર અને ઘેજ ગામની ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને લીલાપોર પાટીદાર પ્રિમિયર લીગની ચેમ્પિયન બની હતી . આ બંને ટીમોએ પણ તેમને મળેલા ઈનામની તમામ રકમ પરિવારને અર્પણ કરી હતી . આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા તૃષિત પટેલ , બ્રિજેશ પટેલ અને દિપક પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.