ભારતમાં કરોડો રુપિયાનું કૌભાંડ કરીને રફુચક્કર થઈ ગયેલા વિજય માલ્યા સામે અનેક કેસ નોંધાયા છે. જો કે, વિદેશમાં ફરતા વિજય માલ્યાને ભારત પરત લાવવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ત્યારે સોમવારે વિજય માલ્યા સામે ભારતની બેંકોએ વિદેશમાં કરેલા એક કેસમાં બેંકોની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. બ્રિટનની કોર્ટે સોમવારે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો હતો. માલ્યાએ કિંગફિશર એર લાઈન્સની સેવાઓ ચાલુ રાખવા માટે એસબીઆઈ અને બીજી બેંકો પાસેથી રૂપિયા 9,990 રૂપિયાની તગડી લોન લીધી હતી. પછી કિંગફિશરની સ્થિતિ બગડતાં કંપની ડૂબી ગઈ હતી. બાદમાં માલ્યાએ ઓ લોનના નાણા ચુકવ્યા ન હતા. તેણે બેંકો પાસેથી લીધેલી લોનના રૂપિયાનો ઉપયોગ લક્ઝરી એરક્રાફ્ટ અને બીજી પ્રોપર્ટી ખરીદવા માટે કર્યો હતો.
ભારતમાં બેંકો સાથે કરોડો રુપિયાના છેતરપીંડી કરીને ચાર વર્ષ પહેલાં વિદેશ ચાલી ગયેલા માલ્યાને ભારત પરત લાવવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. વિજય માલ્યાને લોન આપનારી ભારતની બેંકોએ ગત જુલાઈ મહિનામાં માલ્યાની ફર્મના શેર વેચીને રૂપિયા 792.12 કરોડ રૂપિયા મેળવ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળી બેંકોના કંસોર્શિયમ તરફથી ડેટ રિકવરી ટ્રીબન્યૂનલે માલ્યાના શેર વેચ્યા હતા. જયારે મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા એક કેસમાં ઈડીએ શેરને જપ્ત કર્યા હતા. ઈડીએ તાજેતરમાં જ ડી.આર.ટી.ને આ શેર વેચવાની મંજુરી આપી હતી. વધુમા માલ્યાની વિરૂદ્ધ ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં ભારતીય બેંકોના એક સંઘે બ્રિટિશ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં માલ્યાની કિંગફિશર એર લાઈન્સને આપવામાં આવેલી લોનની વસૂલી માટે માલ્યાને નાદાર જાહેર કરવા અપીલ થઈ હતી. દરમિયાન લંડન હાઈકોર્ટે સોમવારે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો હતો. આ નિર્ણય બાદ ભારતીય બેંકો વિજય માલ્યાની સંપત પર સરળતાથી કબજો કરી શકશે. જો કે, વિજય માલ્યા પાસે હજુ લંડન હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરવાની એક તક છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે માલ્યાના વકીલ લંડન હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ કરવા કવાયત કરી રહ્યા છે. ટુંક સમયમાં જ વિજય માલ્યાના વકીલ કોર્ટમાં અરજી દાખલ કરે તેવી શક્યતા છે.