શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ને લઈને વિવાદ વધી રહ્યો છે. એક તરફ હિંદુ સંગઠનો ફિલ્મના ગીત બેશરમ રંગ પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે તો મધ્યપ્રદેશમાં હવે ઉલેમા બોર્ડે પણ ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડે ફિલ્મ પઠાણનો બહિષ્કાર કરતા તેને રિલીઝ ન કરવાની માંગ કરી છે.
મધ્ય પ્રદેશ ઉલેમા બોર્ડના પ્રમુખ સૈયદ અનસ અલીએ કહ્યું- પઠાણ નામની ફિલ્મ બની છે, પરંતુ અમને ઘણી જગ્યાએથી કોલ અને ફરિયાદો મળી છે અને તેઓએ આ ફિલ્મની અંદર અશ્લીલતા ફેલાવવામાં આવી છે અને ઇસ્લામનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે તેવો રોષ વ્યક્ત કર્યો છે.
તેમણે આગળ કહ્યું, ઓલ ઈન્ડિયા મુસ્લિમ ફેસ્ટિવલ કમિટીએ આ ફિલ્મને લઈને સ્ટેન્ડ લીધો છે અને ફિલ્મનો બહિષ્કાર કર્યો છે. અમે સરકારના લોકોને, જવાનોને પણ આ ફિલ્મ ન જોવાની અપીલ કરીએ છીએ. તેણે કહ્યું છે કે આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. તો ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ પણ આની ભલામણ કરે છે અને તેમની સાથે ઉભું છે.
અલીએ કહ્યું, આ અમારો અધિકાર છે કે જો કોઈ અમારા ઇસ્લામ, અમારા ધર્મને આ રીતે રજૂ કરે છે, તો અમે તેની સાથે સમાધાન નહીં કરીએ. જો કોઈ ઈસ્લામને ખોટી રીતે રજૂ કરે છે, તો તે આપણા ધર્મની સાચી રીત રજૂ કરવાની જવાબદારી આપણી છે.
સૈયદ અનસ અલીએ વધુમાં કહ્યું- હું સેન્સર બોર્ડને જોરદાર અપીલ કરું છું અને ભારતના તમામ થિયેટર લોકોને કહેવા માંગુ છું કે તમે આ ફિલ્મને ન બનવા દો, કારણ કે તેનાથી ખોટો સંદેશ જશે, શાંતિ ડહોળશે અને તમામ લોકો આ દેશની અંદર મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચશે અને આપણી મજાક ઉડાવવામાં આવશે. હું દરેકને અપીલ કરું છું કે આ ફિલ્મ બિલકુલ ન જુઓ.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મ બેશરમ રંગનું પહેલું ગીત બહાર આવતા જ ફિલ્મ પર હોબાળો શરૂ થઈ ગયો હતો. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનોએ પણ ફિલ્મ પઠાણનો વિરોધ શરૂ કર્યો છે. ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર બહિષ્કારનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. હવે આ વિવાદો ફિલ્મની કમાણી પર કેટલી અસર કરે છે, તે જોવાનું રહેશે.