કોરોનાના નવા ખતરા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી પરત ફરતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિદેશથી આવનારા મુસાફરોને ટ્રેક કરીને ટેસ્ટ કરવામાં આવશે. માંડવિયાએ કહ્યું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે.
તેમણે કહ્યું કે જો આ દેશોમાંથી આવનારા કોઈપણ યાત્રીમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. માંડવિયાએ માહિતી આપી હતી કે એરપોર્ટ પર આ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. વિદેશથી આવનાર દરેક મુસાફરને ટ્રેક કરવામાં આવશે.
દેશમાં કોવિડ-19ના 201 નવા કેસના આગમન સાથે, ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4,46,76,879 થઈ ગઈ છે, જ્યારે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,397 થઈ ગઈ છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,30,691 થઈ ગઈ છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચેપનો દૈનિક દર 0.15 ટકા અને સાપ્તાહિક દર 0.14 ટકા નોંધાયો છે. કોવિડ-19ની તપાસ માટે કુલ 90.97 કરોડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી, છેલ્લા 24 કલાકમાં 1,36,315 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.01 ટકા છે. તે જ સમયે, કોવિડ-19માંથી રિકવરીનો દર 98.80 ટકા નોંધાયો છે.