2020માં ભારત સહિત સમગ્ર વિશ્વમાં આવેલા કોરોના સંકટની અસર દરેક વ્યવસાય અને ક્ષેત્ર પર પડી છે. છેલ્લાં વર્ષમાં ભારતમાં જ ડોમેસ્ટીક ફ્લાઇટનું સંચાનલ કરતી કંપનીઓને મોટુ નુકસાન થયું છે. આ સમયમાં મુસાફરોની સંખ્યામાં 56 ટકાનો ઘટાડો નોંધાતા કંપનીની બેલેન્સ સીટ ખોરવાઈ ગઈ છે. શુક્રવારે ભારતમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને આ વિશે પ્રસિદ્ધ કરેલા અહેવાલથી સ્પષ્ટ થયું હતુ કે, કોરોના અને તેને કારણે લદાયેલા પ્રતિબંધોથી ઉડ્ડયન ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, 2020માં ડોમેસ્ટીક ફ્લાઇટ્સની સુવિધાનો ઉપયોગ કરતા મુસાફરોની સંખ્યા 2019ની તુલનામાં 56.29 ટકા ઘટી હતી. 2019માં 6.3 કરોડ મુસાફરોએ જ તેનો ઉપયોગ કર્યો હતો. કોરોના વાયરસ રોગચાળાની અસર ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં હજુ પણ ચાલુ છે. સ્થાનિક ઉડ્ડયન બજારમાં ઈન્ડિગોનો માર્કેટ હિસ્સો 51.7 ટકા રહ્યો હતો. સ્પાઇસ જેટના 93.9 લાખ મુસાફરો અને 14.9 ટકા માર્કેટ શેર છે. 2020માં 3.25 કરોડ લોકોએ ઈન્ડિગો ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરી હતી.
2020ના વર્ષે એર ઇન્ડિયાએ 69.32 લાખ મુસાફરો, ગો એરએ 54.38 લાખ, એરએશિયા ઇન્ડિયાએ 43.87 લાખ અને વિસ્તારાએ 39.39 લાખ મુસાફરોને સુવિધા આપી હતી. 2020ના ડિસેમ્બરમાં માત્ર 73.27 લાખ મુસાફરોએ ડોમેસ્ટીક ફ્લાઇટ્સની સુવિધા મેળવી હતી. જે આ પહેલાના 2019ના વર્ષમાં ડિસેમ્બરમાં થયેલી ડોમેસ્ટિક મુસાફરીની સરખામણીએ 43.72 ટકા ઓછી છે. ડિસેમ્બર 2020માં છ મોટી એરલાઇન્સની ટિકિટ બુકિંગ અથવા લોડ ફેક્ટર 65.1 થી 78 ટકા હતું. એરલાઇન્સને મહત્તમ 80 ટકા બુકીંગની મંજૂરી મળી છે. ડિસેમ્બરમાં ચાર મહાનગરોના એરપોર્ટો- બેંગાલુરૂ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈમાં ઈન્ડિગોની ઓન-ટાઇમ ફ્લાઇટનું પ્રદર્શન સારૂ રહ્યું હતુ. ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોનોજોય દત્તાએ જણાવ્યું છે કે, સમયસર ફ્લાઇટ એ ગ્રાહક સેવાનું સૌથી મહત્વનું પાસું છે. કર્મચારીઓના સહકાર વિના તે શક્ય હોતુ નથી. આ કિસ્સામાં, એરએશિયા ભારત 89.9 ટકા સાથે બીજા અને વિસ્તારા 88.4 ટકા સાથે ત્રીજા સ્થાને છે. દરમિયાન ડીજીસીએએ જણાવ્યું હતું કે, અગાઉના મહિનાની તુલનામાં ડિસેમ્બરમાં પેસેન્જર ટિકિટ બુકિંગમાં ઘટાડો થયો હતો. પર્યટનની સીઝન ખતમ થઈ જતા આ સ્થિતિ સર્જાઈ હતી. સ્પાઇસ જેટ બુકિંગ સૌથી વધુ 78 ટકા હતું. પરંતુ કોરોનાને કારણે બે મહિનાના વિરામ બાદ 25 મેના રોજ ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ હતી.