2022માં યોજનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હવે આયારામ ગયારામની ઘટના ઘટી રહી છે. દોઢ મહિના પહેલાં સુરતના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવી લીધા બાદ ભાજપ કોઈ મોટા પાટીદાર નેતાને પાર્ટી સાથે જોડવાની ફિરાકમાં હતો. દરમિયા જૂના જનસંઘી અને 2007માં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા સુરતના ધીરુ ગજેરાને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ધીરુભાઈ ગજેરા પણ સુરતના ઉદ્યોગપતિ છે. શનિવારે સુરત ભાજપ કાર્યાલય ખાતે ધીરુભાઈ ગજેરા વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. સુરતમાં પાટીદાર નેતાની છબી ધરાવતા ધીરુભાઈ ગજેરા વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપમાં હતા પરંતુ વર્ષ 2007માં ભાજપ છોડી તેઓ કોંગ્રેસમાં ગયા હતા. તેમણે વર્ષ 2007માં ભાજપ સામે ખુલ્લો બળવો કર્યો હતો. કેશુભાઈ સાથેની નવી પાર્ટીમાં પણ તેઓ સામેલ થયા હતા. જો કે, તે પછી પાર્ટી બરખાસ્ત થઈ જતાં આખરે કોંગ્રેસમાં જોડાયા હતા. ધીરૂ ગજેરાએ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી હતી. પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.
આ પહેલા પણ તેઓ એક ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ધીરુ ગજેરાને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ ધીરૂભાઈ ગજેરાએ કહ્યું હતુ કે, મારો 14 વર્ષનો વનવાસ પૂરો થયો છે. અને હું ભાજપમાં પાછો ફર્યો છું. ગમે તેવો અસંતોષ હોય પાર્ટી છોડતા નહીં. મેં સામેથી ભાજપનો સંપર્ક કર્યો છે. હું મારા ઘરે પાછો ફર્યો છું. પાર્ટી માટે કામ કરીશ. અંતિમ શ્વાસ સુધી ભાજપમાં રહીશ. ગજેરાએ વધુમાં ઉમેર્યું કે, મને રાષ્ટ્રહિતમાં જ્યાં કામ કરવાનું કહેશે ત્યાં હું કામ કરવા તૈયાર છું. ઉધના ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.