ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડે દુનિયાને અલવિદા કહી દીધી છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ જગત અને તેની સાથે સંકલાયેલા વર્ગમાં શોકની કાલિમા પ્રસરી ગઈ છે. તેમણે જ્હોની ઉસકા નામ, બદનામ ફરિશ્તે, મહાસતી સાવિત્રી, કોરા કાગઝ, ભાદર તારા વહેતા પાણી, સોન કંસારી, સલામ મેમસાબ, ગંગા સતી, મણિયારો, જાગ્યા ત્યારથી સવાર, મા ખોડલ તારો ખમકારો, મા તેરે આંગન નગારા બાજે, અગ્નિપથ, ખુદા ગવાહ, અબ તો આજા સાજન મેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો. તેમણે અંદાજે 250 થી વધુ ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યુ છે. આ ગુજરાતી કલાકારને ‘મેરા નામ જૉકર’ જેવી ફિલ્મથી બ્રેક મળ્યો હતો. અનેક હિન્દી ફિલ્મોમા કામ કરનારા અરવિંદ રાઠોડને દેશમાં લાખો લોકો જાણે છે. દરમિયાનમાં ગુરુવારે આ જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું આકસ્મિક નિધન થયું હતુ. ઘટનાની જાણ થતાં જ તેમના ચાહક વર્ગમા શોકનુ મોજુ ફરી વળ્યું છે. અરવિંદ રાઠોડ સાથે દસ ફિલ્મોમા સાથે કામ કરનાર અભિનેત્રી ભાવિની જાનીએ તેમના વિશે કહ્યુ કે, અમે 10 ફિલ્મો સાથે કરી હતી. તેઓ બહુ જ ઉમદા કલાકાર હતા. અન્ય કલાકારોને મદદ માટે પણ અરવિંદ રાઠોડ સતત તત્પર રહેતા હતા. તેમના નિધનના સમાચાર જાણી દુખ અનુભવું છુ. તેના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને મોટી ખોટ પડી છે.