ગુજરાતના અનેક મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી મોટા વિવાદમાં ફસાયા છે. પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્યકાર અને લોક કલાકાર રાજભા ગઢવીનીએ ડાંગના રહીશોને લઇને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી આદીવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ આયોજીત એક લોક ડાયરામાં રાજભા ગઢવીએ ડાંગવાસીઓ માટે વિવાદાસ્પદ નિવેદન કરતા આદિવાસી સમાજે હવે ગઢવી માફી માંગે તેવી માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા આનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજભા ગઢવીએ ડાયરામાં જણાવ્યું હતું કે, ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. આ વાયરલ વિડિયોમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.
સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થતાં આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતના લોક ડાયરામાં જાહેર જનતાને ડાંગ વિશે ખોટી વાત કરતાં ડાંગના લોકોમાં રાજભા ગઢવીને લઈને ગુસ્સો ફેલાયો છે. લોક ડાયરામાં રાજભા ગઢવીએ ગૌરવ લેતાં જણાવ્યું કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી લઈ જાય.
રાજભા ગઢવીના ડાંગ વિશેના વિવાદાસ્પદ વીડિયોને લઈ ડાંગના રાજા ધનરાજસિંહ સુર્યવંશીની પણ પ્રતિક્રિયા આવી છે. રાજા ધનરાજસિંહ સુર્યવંશીએ રાજભા ગઢવીનેને પડકાર આપતાં જણાવ્યું કે આ વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે નહીં તો આવનારા દિવસોમાં આ મુદ્દે આવેદનપત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.