• Sun. Apr 20th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનાવવાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 % પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે. એટલું જ નહીં, જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે.