વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાતે આવશે. આ પ્રવાસની તૈયારીઓ અંગેની સંપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. બંને મહાનુભાવોના આગમનને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો, ડિવાઈડર, ફૂટપાથ અને જાહેર સ્થળોની સફાઈની સાથે સાથે રસ્તાઓના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના જાહેર માર્ગોને સુંદર બનાવવા માટે રંગકામ અને વૃક્ષારોપણ જેવા કામો કરવામાં આવી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તાજેતરની પૂર હોનારતને પગલે મુખ્ય વિસ્તારોમાં થયેલા નુકસાનના સમારકામ માટે દિવસ-રાત કામ કરી રહી છે. જમીન ધોવાણ અને પૂરના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરની ખાસ ઓળખ એમ.એસ. યુનિવર્સિટી, કીર્તિ મંદિર, ન્યાય મંદિર અને લક્ષ્મીવિલાસ પેલેસને આકર્ષક અને વિશિષ્ટ લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે અને રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે વડોદરાના મુખ્ય માર્ગોની બંને બાજુની દિવાલો પર ગ્રાફિટી પેઇન્ટિંગ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં મહત્વકાંક્ષી એરબસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ એક ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ છે, જે દેશમાં સ્વદેશી વિમાન ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને બે વર્ષ પહેલા 30 ઓક્ટોબર 2022ના રોજ વડોદરામાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને આજે બે વર્ષ બાદ તેઓ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ તેમના શબ્દોને ફરી એક વખત સાબિત કરે છે કે તેમની સરકારના નેતૃત્વમાં શિલાન્યાસની સાથે સાથે પરિયોજનાઓનું લોકાર્પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં ટાટા એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે અને સંરક્ષણ ક્ષેત્રે નવો યુગ લાવશે.
દેશના આર્થિક વિકાસ માટે મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા આવી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત અને સ્પેનના મૈત્રીપૂર્ણ સંબંધોના સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં બંને વડાપ્રધાનો વચ્ચે ભારત અને સ્પેન વચ્ચે મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે, જેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ કારણોસર શહેરમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શહેરના દરેક મોટા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.