વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન ગૃહ મંત્રી હરેન પંડ્યાની થયેલી હત્યાના મામલે હૈદરાબાદ પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પર હરેન પંડ્યા હત્યાકેસમાં સામેલ થવાનો આરોપ હતો. આજે 19 વર્ષ બાદ હૈદરાબાદની મેટ્રોપોલિટન કોર્ટે પુરાવાના અભાવે તમામને છોડી દેવાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ 8 શખ્સો સામે હૈદરાબાદ પોલીસે વિદેશમાં જઈ આતંકવાદી તાલીમ લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે, યુવકોના પરિવારે આ આરોપો નકારી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, 26 માર્ચ, 2003ના રોજ ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની અમદાવાદમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપ હેઠળ તેલંગાણાની (એ સમયે આંધ્રપ્રદેશ) હૈદરાબાદ પોલીસે 8 યુવકોની ધરપકડ કરી હતી. આ શખ્સો સામે પાસપોર્ટમાં ચેડાં કરી બેંગકોંગ અને હોંગકોંગ જઈ તાલીમ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં 26 માર્ચ, 2003ના રોજ તત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા એ સમયે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હૈદરાબાદ સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (સીસીએસ)એ હૈદરાબાદના સૈદાબાદ અને મદન્નાપેત વિસ્તારના કેટલાક યુવકો સામે તે સમયે આ હત્યાના ષડયંત્રમાં સામેલ હોવા મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ 8 શખ્સો સામે રાજ્ય સામે યુદ્ધ છેડવુ, રાજદ્રોહ, પુરાવાનો નાશ કરવો,ધર્મ પર હુમલાની કલમો તેમજ ભારતીય પાસપોર્ટ એક્ટની કલમ 12 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આ આરોપીઓ પર વિદેશમાં આતંકવાદી તાલીમ લેવાનો આરોપ પણ નોંધવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે આ આરોપોને સાબિત કરતા પુરવા અપૂરતા હોવાનું કહ્યું હતું. અધિકારીઓ દ્વારા આ કેસમાં જુબેર શરીફ,સૈયદ મુબાશીર હુસૈન,સૈયદ ઐઝાઝ અહમદ,મોહમ્મદ વાજિદ અહમદ,મોહમ્મદ માજીદ,સૈયદ અબ્દુલ નયીમ, સૈયદ ઓમર અને સૈયદ ઐઝાઝ અહમદ ઉર્ફે છોડા આઝાદ (તમામ હૈદરાબાદના રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસનો દાવો હતો કે, પકડાયેલા યુવકોને હોંગકોંગ અને બેંગકોંગમાં હુમલાની તાલીમ માટે મોકલાયા હતા અને તેમણે ત્યાં જવા માટે પોતાના પાસપોર્ટ સાથે છેડછાડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હરેન પંડ્યાની હત્યાએ ગુજરાતના રાજકારણમાં મોટી ઘટના માનવામાં આવે છે. આ હત્યામાં ભાજપના ટોચના નેતા સામેલ હોવાના આરોપ પણ લાગ્યા હતા. જોકે, એ વાત ક્યારેય સાબિત થઈ શકી નથી.આ મામલો હજુ પણ ઘણી વખત ઉછાળવામાં આવતો રહે છે.