અમદાવાદમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થયો છે. અમદાવાદ જ નહીં પરંતુ મોટા મહાનગરોમાં નાની નાની વાતોને કારણે આપઘાતના બનાવો સામે આવતા હોય છે. કોરોનાકાળમાં રોજગારીના પ્રશ્નોને કારણે પણ આપધાતના બનાવો વધ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક શખસે ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે નસીબજોગે આ યુવક નીચે પતરાં પર પટકાતાં તેનો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી આજે સવારે એક યુવકે કુદીને આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. છલાંગ લગાવતાં પહેલાં ત્યાં હાજર લોકોએ બૂમો પાડીને યુવકને આવું નહીં કરવા સમજાવ્યો પણ હતો, પરંતુ તેણે કોઈની વાત માની ન હતી અને ચોથા માળેથી નીચે પડતું મૂકી દીધું હતું. જો કે, યુવકના નસીબ સારા હતા અને તે પતરાં પર પડી જતાં તેનો જીવ બચી ગયો હતો. યુવકને બચાવવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને પણ જાણ કરી હતી. ફાયરબ્રિગેડની બે ગાડી જે હોસ્પિટલમાં હાજર હોય છે ત્યાં પહોંચી હતી.
અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડના અધિકારી તેને બચાવવા સમજાવી રહ્યા હતા એ દરમિયાન જ યુવકે નીચે કૂદકો મારી દીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખેસડી દેવામાં આવ્યો હતો. યુવકનું નામ નરેશ સોલંકી હોવાનું સામે આવ્યું છે. આ યુવકે શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો એની માહિતી હજી મળી શકી નથી કારણ તે યુવક હજી ભાનમાં આવ્યો ન હતો.