નવી દિલ્હી: સામાન્ય સંજોગોમાં કંપની પોતાના કર્મચારીઓને જલ્દી રજા આપતી હોતી નથી. પ્રાઈવેટ સેકટર, કોર્પોરેટ ઓફિસ અને કંપનીઓમાં તો વધુ રજા પાડનારને નોકરીમાંથી પણ પાણીચું આપવાના કિસ્સા બને છે. આવા સંજોગોમાં ભારતમાં કામ કરતી દુનિયાની દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટના ભારતીય યુનિટે પોતાના કર્મચારીઓને કામમાંથી બ્રેક લેવા સલાહ આપતા આશ્ચર્ય સર્જાયું છે. માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અનંત મહેશ્વરીએ આ અંગે સોશિયલ મીડિયા એક પોસ્ટ શેર કરી છે. જેમાં મહેશ્વરીએ સ્પષ્ટ રીતે લખ્યું છે કે, હવે કંપનીના કર્મચારીઓએ બ્રેક લેવો જોઈએ. આ સાથે જ તેમણે આરોગ્યના પાસાને ચર્ચામાં લીધું છે. 48 વર્ષના મહેશ્વરીનું માનવું છે કે, કામમાંથી વચ્ચે-વચ્ચે બ્રેક લેવાથી કર્મચારીઓની માનસિકતા અન શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. સતત કામગીરી કર્મચારીઓના સ્વાસ્થ્ય ઉપરાંત કામગીરીને અસર કરે છે. આવા સંજોગોમાં પરિવાર સાથે વધુ સમય વિતાવવાથી હોલી- ડે પર જવાથી તે માનસિક રીતે તંદુરસ્ત બને છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘કામમાંથી બ્રેક લો, તમને ચાહનારાઓ સાથે સમય વિતાવો અને પછી ઉર્જા અને તાજગીના અહેસાસ સાથે ફરી કામ કરવા માંડો. માઈક્રોસોફ્ટ ઈન્ડિયા કર્મચારીઓની દ્રષ્ટિએ દેશની સૌથી વિશ્વાસપાત્ર કંપની બનવા તમામ પ્રયાસ કંપની કરી રહી છે. દુનિયામાં આ કંપની સાથે 1,75,508 કર્મચારીઓ જોડાયેલા છે. હાલમાં પણ કોરોનાનો ભય હોવાથી સપ્ટેમ્બર સુધી ઓફિસ નહીં ખોલવા કંપનીએ નિર્ણય કર્યો છે. કંપનીના કર્મચારી ઘરેથી કામ કરી રહ્યા છે. રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ 2021 મુજબ, કર્મચારીઓ માટે સૌથી આકર્ષક બ્રાન્ડના મામલે માઈક્રોસોફ્ટ ત્રીજા નંબરે છે. માઈક્રોસોફ્ટે કર્મચારીઓને મહામારી બોનસ તરીકે 1.12 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. કોર્પોરેટ વાઈસ પ્રેસિડન્ટથી નીચેના સ્તરના બધા સ્ટાફને આ બોનસ મળશે. તેનો ફાયદો એ બધા કર્મચારીઓને મળશે, જેમણે 31 માર્ચ, 2021 કે તે પહેલા કંપનીમાં નોકરી શરૂ કરી છે. પાર્ટ-ટાઈમ સ્ટાફ અને કલાકના આધારે સેવા આપતા કર્ચમારીઓને પણ આ બોનસ આપવાનો નિર્ણય કંપનીએ કર્યો છે.