ભારતીય ટીમે ઘણું પુરવાર કરવાનું છે, વર્લ્ડ ચેમ્પિયનશિપની રીતે પણ મહત્વની છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તો ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર સફળતા હાંસલ કરી છે પરંતુતે ની ખરી કસોટી હવે ઇંગ્લેન્ડ સામે થવાની છે. આમ તો કાંગારું ટીમને તેના ઘરઆંગણે હરાવવાથી વિશેષ સફળતા કોઈ હોઈ શકે નહીં પરંતુ ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમવાનું હોવાથી સમસ્યા ઓછી હશે તેમ માની શકાય નહીં. ઓસ્ટ્રેલિયાથી વિપરીત આ વખતે વિરાટ કોહલીની ટીમને ઘણા પડકારોનો સામનો કરવાનો છે અને સાથે સાથે પ્રતિષ્ઠા પણ બચાવવાની છે. ઓસ્ટ્રેલિયા સામે તો વિરાટ કોહલી રમ્યો ન હતો તેમ છતાં ભારતે સફળતા હાંસલ કરી હતી. તેમાં ય બ્રિસબેન ખાતેની અંતિમ ટેસ્ટમાં તો કોહલી ઉપરાંત ઘણા સુપર સ્ટાર ખેલાડીઓ રમ્યા ન હતા પરંતુ હવે એ તમામ પરત ફરી ગયા છે અને ઇંગ્લેન્ડ સામે રમવાના છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ સિરીઝ ઘણી રીતે મહત્વની છે. પાંચમી ફેબ્રુઆરીએ ચેન્નાઈના ઐતિહાસિક ચેપોક ખાતે સિરીઝનો પ્રારંભ થવાનો છે. કોરોના વાયરસની મહામારીને કારણે ભારતમાં ક્રિકેટ ઠપ્પ થઈ ગયું હતું, બીસીસીઆઈએ સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે ડોમેસ્ટિક ક્રિકેટની તો શરૂઆત કરી દીધી અને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટનો દેશમાં પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના કાળ બાદ દેશમાં ક્રિકેટ કેવું રમાશે અને તેનુ આયોજન કેવું હશે તે જોવાનું રહેશે તો સિરીઝની રીતે પણ આ ચાર ટેસ્ટ અત્યંત મહત્વની છે કેમ કે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા માટે ભારતે આ સિરીઝ જીતવી જરૂરી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત અત્યારે મોખરે છે તો ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે છે અને ઓસ્ટ્રેલિયા તથા ઇંગ્લેન્ડ ત્યાર પછીના ક્રમે છે. ઇંગ્લેન્ડે તાજેતરમાં જ શ્રીલંકા સામેની બે મેચની સિરીઝ 2-0થી જીતીને પોતાની પોઝિશન મજબૂત બનાવી છે. જોકે તેમ છતાં ભારતની નજીક પહોંચવા માટે તેણે આકરી મહેનત કરવી પડશે. તે ભારત સામેની ચાર ટેસ્ટની આ સિરીઝ 4-0થી જીતે તો પણ તેણે અન્ય પરિણામો પર આધાર રાખવો પડશે. હવે બંને ટીમની તાકાતની વાત કરીએ તો હાલના સંજોગોમાં જે રીતે ભારતે ફોર્મ દાખવ્યું છે તે જોતાં ઇંગ્લેન્ડ પાસે આ સિરીઝ કમસેકમ 4-0થી જીતવા જેટલી તો ક્ષમતા દૈખાતી નથી તેમ છતાં આ ટીમને નબળી આંકવાની ભૂલ પણ થઈ શકે તેમ નથી. ભારતે બેશક ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યું છે. કાંગારું ટીમમાં સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર હતા. તેમનુ બોલિંગ આક્રમણ અત્યંત મજબૂત હતું. પેટ કમિન્સ કે મિચેલ સ્ટાર્ક અને 100 ટેસ્ટનો અનુભવી નાથાન લાયન રમતો હોય તે ટીમને હળવી આંકી શકાય નહીં તેમ છતાં ભારતે 2-1થી સિરીઝ જીતીને કમાલ કરી દેખાડી હતી. આ ઉપરાંત એ પણ ના ભૂલવું જોઇએ કે ભારતના કેટલાક સ્ટાર ખેલાડીઓ રમી શક્યા ન હતા. જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડી હવે ટીમમાં પરત ફરી ગયા છે.
ભારતે આ સિરીઝમાં ઘણું બધું પુરવાર કરવાનું છે. પહેલી વાત તો એ છે કે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારત જીત્યું તે કોઈ તુક્કો ન હતો તે સાબિત કરવું પડશે. સામાન્યમાં સામાન્ય ટીમ પણ તેની સામે પડકાર આવે ત્યારે ઝનૂની બની જતી હોય છે. ભારતીય ટીમના નવોદિતોએ બ્રિસબેનમાં જે રમત દાખવી તેની પાછળ આ તત્વ કામ કરી ગયું હોઈ શકે. તમારી ટીમના મહત્વના ખેલાડી ન હોય ત્યારે હરીફ ટીમ પણ તમને હળવાશથી લેતી હોય છે. બીજું ખેલાડીઓ જીવ પર આવી ગયા હતા કેમ કે તેમણે એ દેખાડી દેવાનું હતું કે હમ ભી કુછ કમ નહીં. પણ, ઇંગ્લેન્ડ સામે આમ નહીં બને. ઇંગ્લેન્ડ સામે તમામ નિયમિત ખેલાડી પરત ફરી ગયા છે. આ સંજોગોમાં ટીમનો જુસ્સો થોડો નબળો પડે તેવું જોખમ રહેશે. આ બાબત માનવસહજ છે. કોહલી, બુમરાહ, અશ્વિનની ગેરહાજરીમાં જો અમે કાંગારુંઓનૈ તેમની ધરતી પર હરાવી શકતા હોઈએ તો ઇંગ્લેન્ડ સામે તો ઘરઆંગણે અમારા જ મેદાન પર રમવાનું છે તેવી માનવસહજ લાગણી દિમાગમાં ઘર કરી જાય તે સ્વાભાવિક છે અને આ જ બાબતનો ચાલાક અંગ્રેજ ટીમ લાભ લઈ શકે તેમ છે.
ઇંગ્લેન્ડની ટીમ તાજેતરમાં જ શ્રીલંકાનો વ્હાઇટવોશ કરીને આવી છે. તેમનો કેપ્ટન જો રૂટ શાનદાર ફોર્મમાં છે. તેણે પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી તો એ જ શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં તે 11 રન માટે બેવડી સદીથી વંચિત રહ્યો હતો. નજીકના ભૂતકાળમાં કોઈ પ્રવાસી કેપ્ટન આવા ઉમદા ફોર્મ સાથે ભારત સામે રમવા આવ્યો નથી. આમ ભારતીય ટીમે કોઈથી સાવચેત રહેવાનું હોય તો તે જો રૂટ છે. આ ઉપરાંત બેન સ્ટોક્સ તાજો થઈને ભારત સામે રમવાનો છે. તે શ્રીલંકા સામે રમ્યો ન હતો પણ ઇંગ્લેન્ડે છેલ્લે ભારતનો પ્રવાસ ખેડ્યો ત્યારે બેન સ્ટોક્સે રાજકોટમાં સદી ફટકારી હતી.

અંગ્રેજ ટીમ છેલ્લે ભારત આવી ત્યારે મોઇન અલીએ બે સદી ફટકારી હતી. મોઇન હવે સ્થાપિત ઓલરાઉન્ડર બની ગયો છે. કોરોના પોઝિટિવ આવવાને કારણે તે શ્રીલંકા સામે રમી શક્યો ન હતો પણ હવે તે સાજો થઈ ગયો છે. પ્રવાસી ટીમની બોલિંગમાં પણ કોઈ કમી નથી. જેમ્સ એન્ડરસન કદાચ છેલ્લી વાર ભારતમાં રમનારો છે. 38 વર્ષીય બોલર એશિયન ધરતી પર કેટલો સફળ રહે છે તે તેણે શ્રીલંકામાં પુરવાર કરી દીધું છે. આ ઉપરાંત જેક લિચ અને ડોમનિક બેઝ ઉમદા સ્પિનર છે. ભારત પાસે વિરાટ કોહલી ઉપરાંત ચેતેશ્વર પૂજારા, અજિંકય રહાણે અને રોહિત શર્મા છે. રિશભ પંત અને યુવાન શુભમન ગિલ સારા ફોર્મમાં છે. બુમરાહ પહેલી વાર ભારતીય ધરતી પર ટેસ્ટ રમશે પણ તે અગાઉ તો તેણે પોતાને વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર તરીકે પુરવાર કરી દીધો છે.
સિરીઝની પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં પ્રેક્ષકો વિના રમાવાની છે તો બાકીની બે ટેસ્ટ નવા જ બંધાયેલા મોટેરા સ્ટેડિયમ પર રમાશે. ચેન્નાઈની પિચ સ્પિનરને મદદ કરવા માટે જાણીતી છે પણ આ જ વાત મોટેરાની પિચ અંગે કહી શકાય નહીં. આ મેદાન પર પહેલી જ વાર મેચ રમાઈ રહી છે. 2015 બાદ મોટરાનું નવનિર્માણ થયું છે અને નવું મેદાન ભારતને કેવું ફળે છે તે જોવા માટે ગુજરાત સરકાર કદાચ પ્રેક્ષકોને પ્રવેશવાની મંજૂરી આપશે તો સવા લાખની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં 50 ટકા લેખે 50 હજાર પ્રેક્ષકો આવી શકે છે. મોટેરા ખાતે જ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ માર્ચ મહિનામાં પાંચ ટી20 મેચ રમનારી છે અને ત્યાર બાદ બંને ટીમ પૂણે જશે જ્યાં ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાશે. સૌથી અગત્યની વાત એ છે કે ભારતીય ટીમે ઘરઆંગણે તેની પ્રતિષ્ઠા જાળવી રાખવાની છે અને કોરોના કાળ બાદ દેશમાં ક્રિકેટની લોકપ્રિયતામાં જરાય ઓટ આવી નથી તે પણ પુરવાર કરવાનું છે. ગમે તે હોય પણ આ સિરીઝ ઘણી બધી રીતે રોમાંચક રહેશે તેમાં શંકા નથી.
સ્પોર્ટ્સ કોર્નર – સિધ્ધાર્થ ત્રિવેદી