પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયેલા આતંકી હુમલામાં 10 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાનના અશાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના કેચ જિલ્લામાં સુરક્ષા દળોની એક ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, જેમાં 10 સૈનિકોના મોત થયા. સેનાના મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ જણાવ્યું હતું કે 25-26 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 10 જવાનો શહીદ થયા હતા, જ્યારે સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને ઘણા લોકો ઘાયલ થયા હતા. સેનાએ ત્રણ આતંકીઓને પકડ્યા છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલો બલૂચિસ્તાન પ્રાંત લાંબા સમયથી હિંસક વિદ્રોહનો ગઢ રહ્યો છે. બલૂચ વિદ્રોહી જૂથોએ ભૂતકાળમાં આ ક્ષેત્રમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ્સને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ગયા મહિને ડિસેમ્બરમાં બે વખત કેચ જિલ્લા પોલીસ ચેકપોસ્ટને આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હતું. આતંકવાદીઓએ બોમ્બથી હુમલો કર્યો હતો, જેમાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી.
પાકિસ્તાનમાં વિપક્ષ પણ સતત આતંકવાદી હુમલાઓને લઈને વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારને ઘેરી રહ્યો છે. ખાસ વાત એ છે કે ઈમરાન સરકારે હાલમાં જ દેશની નવી સુરક્ષા નીતિને મંજૂરી આપી છે. બીજી તરફ વિપક્ષી દળોનો આરોપ છે કે તાજેતરના આતંકવાદી હુમલા ઈમરાન ખાન સરકારની નિષ્ફળતાનું પરિણામ છે. પાકિસ્તાનની સંસદમાં પણ સરકારની સુરક્ષા નીતિ સામે અસંતોષ જોવા મળ્યો. શુક્રવારે વિરોધ પક્ષોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.