નવસારી જિલ્લામાં આવેલી સોનાની લગડી સમાન જમીનોનો ખેલ પાડવાના કેસમાં નવસારીના તત્કાલિન વિવાદીત પ્રાંત અધિકારી તુષાર જાની સામે છેવટે કેસ નોંધાયો છે. નવસારીના નાયબ કલેક્ટર પદે રહી ચૂકેલા તુષાર જાની સામે એક્સપ્રેસ વે જમીન કૌભાંડ મામલે કેસ નોંધાતાં નવસારી જિલ્લાના અધિકારીઓમાં સોપો પડી ગયો છે. તુષાર જાની ઉપરાંત 4 લોકો સામે આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિવાદીત પ્રાંત અધિકારી તુષાર કે જાનીની ગીર સોમનાથના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે બદલી કરી દેવામાં આવી છે એવામાં ગુનો નોંધાયા બાદ હવે તુષાર જાનીની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. તુષાર જાની ઉપરાંત નઝીર મુલ્લા, એ.એ. શેખ, જફર શેખ, વલીભાઇ નામના શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
નવસારીના આ જમીનના ખેલ પાડવામાં દલાલો અને વચેટીયાઓની વર્ષોથી મોટી ભૂમિકા રહી છે. વડોદરાથી મુંબઇ જતા એક્સપ્રેસ હાઈવે અંતર્ગત નવસારી જિલ્લાની પણ જમીન સંપાદિત કરવામાં આવી હતી. જેમાં સુરતના વકીલ અને દલાલોએ જમીનના ખોટા દસ્તાવેજો ઊભા કરીને વળતરના નાણાં મેળવ્યાના પ્રકરણમાં અત્યાર સુધી કુલ 12 ફરિયાદ નોંધાઈ છે. જેથી સમગ્ર મામલો ગાંધીનગર મહેસુલ વિભાગ પાસે પહોંચતા ગાંધીનગરમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે પત્રકાર પરિષદ પણ યોજીને તપાસ એસઆઇટી પાસે કરાવાની માંગ સ્વીકારી હતી પરંતુ હવે આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી લીધો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી બહાર પાડવામાં આવી હતી અને તેને લીધે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. જો કે લોકોને જમીન સંપાદનના બદલામાં મોટું વળતર ચુકવવાનું જાહેર કરતા જ લેભાગુ તત્ત્વો પણ ઉભા થયા હતા. જમીનના ખોટા દસ્તાવેજો કરીને નાણાં મેળવ્યાના ઘણાં મામલા સામે આવ્યા બાદ પણ પ્રાંત અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતાં આ મામલે અત્યાર સુધી 12 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.