ગુજરાતમાં કોરોનાથી પ્રભાવિત શહેરોમાં સુરત બીજા ક્રમે રહ્યું છે. કોરોનાની બીજી લહેરથી સુરતમાં સૌથી વધુ જાનહાનિ થઈ છે. આ ઉપરાંત હવે દરરોજ 1500થી કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં દવા, ઈન્જેકશન તથા ઓકસિજનની અછતને કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આવા સંજોગોમાં સુરતની સેવાભાવી સંસ્થાઓ અને ટ્રસ્ટો ફરી આગળ વધ્યા છે. સુરતમાંમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજો, ટ્રસ્ટો દ્વારા 17થી વધુ કોવિડ આઈસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે. બુધવારે પણ વધુ એક આઈસોલેશન સેન્ટરને પાટીદાર ટ્રસ્ટ દ્વારા ખુલ્લુ મુકાયું હતું. કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીના હસ્તે આઇસોલેશન સેવા સેન્ટરને ખુલ્લુ મુકાયું હતું. કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉપપ્રમુખ કાળુભાઈ ભીમનાથ ગોવિંદ ધોળકિયા, સમાજના અન્ય અગ્રણી, તેમજ લાલજી પટેલ, મથુર સવાણી, ચેમ્બર્સના ખજાનચી મનીશ કાપડીયા અને વિવિધ સમિતિઓના વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા.
સેન્ટર પર કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ, નર્સિંગ સ્ટાફ, કોવિડ રિપોર્ટ, કોરોના રસીકરણ કેન્દ્ર તથા અનેક સુવિધા રાખવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓ તણાવમુક્ત થાય તે માટે પ્રતિદિન વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. દર્દીઓને માટે એલઇડી સ્કીન દ્વારા મોટીવેટ કરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.
આ આઇસોલેશન સેન્ટરમાં જે દર્દીને ડૉક્ટર દ્વારા ઘરે હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓને દાખલ કરાશે. અથવા હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડૉક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ પણ આઇશોલેશન વોર્ડમાં પ્રવેશ મેળવી શકશે. દર્દીની તપાસ માટે કન્સલ્ટન્ટ 15 ડૉક્ટરની ટીમ તેમજ વિઝીટર 15 ડૉક્ટરો સાથે કુલ 30 તજજ્ઞ ડૉક્ટરોની ટીમ સેવા આપશે. સાથે જ દર્દીઓને સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ આપવામાં આવશે. આ તમામ સુવિધા માટે ટ્રસ્ટ દર્દી પાસે કોઈ પૈસા વસૂલ કરશે નહીં. ઘરના એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય અને ઘરના અન્ય સભ્યને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે હેતુસર આ આઇસોલેશન વોર્ડ શરુ કરાયો છે. સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ-વેડરોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી શરૃ થયેલા આ વોર્ડમાં હાલ 54 બેડની સુવિધા છે.