મહેમદાવાદના રોહિસ્સામાં બોરની આકારણી માટે એક જાગૃત નાગરિક પાસે રૂ 2 લાખની લાંચની માંગણી માગવામાં આવી હતી. આ લાંચમાં ગામના સરપંચના પતિ, તલાટી અને સભ્યએ ભેગા મળી માંગી હોવાનું સામે આવ્યું છે. જો કે આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી એસીબીને આની જાણ કરી દીધી હતી. જે અન્વયે બુધવારની મોડી રાતે સરપંચના ઘરે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
એસીબીના આ છટકામાં સરપંચના પતિ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ એ સમયે મળી આવ્યા ન હતા. મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામે બાબુભાઇ રાઠોડની પત્ની ગામનાં સરપંચ તરીકે ચૂંટાઇ આવી હતી. આ બાદ ગામનો સંપૂર્ણ વહીવટ પત્નીના નામે બાબુભાઇ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે મહિલા સરપંચના નામે તેમના પતિ વહીવટ કરતા હોવાનું જગજાહેર છે. જાગૃત નાગરિક બોરની ટાંકીની અને ઓરડાની આકારણી કરવા માટે રોહિસ્સા ગ્રામ પંચાયત ખાતે અરજી આપી હતી.
ગામના સરપંચના પતિ બાબુભાઇ રાઠોડ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રશાંત ચીમનલાલ પરમાર અને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના મહામંત્રી બળદેવભાઇ રબારીએ ઉપરોક્ત કામ માટે લાંચની માંગણી કરી હોવાની રાવ એસીબીને કરવામાં આવી હતી. વળી આ અંગે સરપંચના પતિ, તલાટી અને સભ્યએ જાગૃત નાગરિકને જણાવ્યુ હતુ કે જમીનની આકારણી થશે, બાદમાં બોરની આકારણી માટે રૂ 2 લાખ રોકડાની માંગણી કરવામાં આવી હતી. જો કે આ લાંચ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેમને ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.