ગણદેવી, તા.૧૬ ગણદેવી ખારેલ હાઈસ્કૂલ માં ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. જે માટે હેલીપેડ સહિત અનેક તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે ખારેલ નેશનલ હાઈ વે નં.૪૮ ઓવરબ્રિજ ઉપર, નીચે ની લાઈટો અને બે હાઈમસ ટાવર ની લાઈટો બંધ હાલત માં છે. જેને કારણે અકસ્માત ની સંભાવના વધી છે. ખારેલ ઓવરબ્રિજ માર્ગ ઘડિયાળ ને કાંટે ૨૪ કલાક વાહનવ્યવહાર થી ધમધમતો રહે છે અહીંથી સાપુતારા અને નાશિક જવા માટે ટૂંકો બાયપાસ છે. વાહન ચાલકો આ માર્ગ પસંદ કરે છે અહીં એસ.ટી.બસ યાત્રીઓની અવરજવર રહે છે. લાઈટો બંધ હોવાને લઈને અહીંથી આવતા જતા રાહદારીઓ અંધારા ને કારણે અસલામતી અનુભવે છે. આમ લાઈટો બંધ હાલત માં હોવાથી લોકો હાલાકી વેઠી રહ્યાં છે. આઈ.આર.બી.ના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી લાઈટો ચાલુ કરાવે એવી માંગ પ્રવર્તી રહી છે. તેમ છતાં હાઈમસ ટાવર કોના હસ્તક છે તે અંગે તંત્ર ચલક ચલાણી ની રમત રમાડી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી નાં આગમન થી સમસ્યાઓ માંથી છુટકારો મળવાની લોકો ને આશા બંધાઈ છે.