ભારતમાં કોરોનાને કારણે મોતને ભેટેલા પત્રકારોના પરિવારને મદદ કરવા કેન્દ્ર સરકારે હાથ લંબાવ્યો છે. શુક્રવારે દેશના કુલ 67 પત્રકારો કે જેમના મોત કોરોનાને કારણે થયા છે તેવા લોકોના પરિવારને આર્થિક સહાય કરવાનું સરકારે એલાન કર્યું હતુ. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ સૂઓ મોટો હાથ ધરીને કાર્યવાહી કરી છે. શુક્રવારે બ્યુરોએ જાહેરાત કરતા કહ્યું હતુ કે, વર્ષ 2020 અને 2021 દરમિયાન ભારતમાં કોરોના મહામારી ફેલાઈ છે. જેના કારણે જીવ ગુમાવનારાઓમાં અનેક પત્રકારો પણ સામેલ છે. અત્યાર સુધી બ્યુરોએ કેટલાક આવા પત્રકારોની વિગતો ભેગી કરી છે.
હવે આવા પત્રકારના પરિવારોને પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવાનો નિર્ણય કરાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. JWSની બેઠકમાં PIBના અગ્ર મહા નિદેશક જયદીપ ભટનાગર, સંયુક્ત સચિવ (I&B) વિક્રમ સહાય, સમિતિના પત્રકારોના પ્રતિનિધિઓ સંતોષ ઠાકુર, અમિત કુમાર, ઉમેશ કુમાર, સર્જના શર્મા સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા. સમિતિએ કોવિડને કારણે જીવ ગુમાવનારા પત્રકારોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જે બાદ પત્રકાર કલ્યાણ યોજના સમિતિએ રજૂ કરેલા પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી. પ્રસ્તાવમાં કોરોનાથી કારણે મૃત્યુ પામનારા 26 પત્રકારોના પ્રત્યેક પરિવારોને રૂપિયા 5 લાખની આર્થિક સહાય આપવા રજૂઆત થઈ હતી. આ પ્રસ્તાવને બેઠકમાં મંજૂરી અપાઈ હતી.
જો કે, આ બેઠક પહેલાં કેન્દ્ર સરકારે કોરોનાને કારણે દેશમાં મોતને ભેટેલા 41 પત્રકારોના પરિવારોને આ પ્રકારની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. એટલે કે, હવે દેશમાં આવા કુલ 67 પરિવારોને સહાય આપવામાં આવનાર છે. સમિતિએ JWS હેઠળ આર્થિક સહાયતાની અરજીઓની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે સાપ્તાહિક ધોરણે બેઠક યોજવાની જાહેરાત પણ કરી હતી. સમિતિએ આજે કોરોના સિવાયના કારણોસર જીવ ગુમાવનારા 11 પત્રકારોના પરિવારોની અરજીઓ પણ ધ્યાને લીધી હતી. પત્રકારો અને તેમના પરિવારો PIBની વેબસાઇટ મારફતે પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત મદદ માટે અરજી કરી શકે છે, જે માટે તમામ માહિતી https://accreditation.pib.gov.in/jws/default.aspx લિંક ઉપર ઉપલબ્ધ છે.