• Mon. Mar 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

શું સરકાર ગમે તે ખાનગી સંસાધન પર કબ્જો કરી શકે? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં કહ્યું છે કે બંધારણ હેઠળ સરકારોને ખાનગી સંપત્તિના તમામ સંસાધનો પર કબજો કરવાનો અધિકાર નથી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે બહુમતીથી આ નિર્ણય આપ્યો છે. 7:2 બહુમતીના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર કેટલાક કિસ્સાઓમાં ખાનગી મિલકતો પર દાવો કરી શકે છે પરંતુ તેને સામાન્ય ભલાઈ માટે ખાનગી માલિકીના તમામ સંસાધનો પર કબજો કરવાનો અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે જસ્ટિસ કૃષ્ણ અય્યરની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને ફગાવી દીધો હતો. જસ્ટિસ અય્યરની બેન્ચે તેના નિર્ણયમાં કહ્યું હતું કે બંધારણની કલમ 39 (B) હેઠળ સરકારો દ્વારા વહેંચણી માટે ખાનગી માલિકીના તમામ સંસાધનો મેળવી શકાય છે.

સુપ્રીમ કોર્ટને એક જટિલ કાનૂની પ્રશ્નનો સામનો કરવો પડ્યો હતો જેનો નિર્ણય બંધારણીય બેન્ચે કરવાનો હતો. સર્વોચ્ચ અદાલત સમક્ષ મહત્વનો પ્રશ્ન એ હતો કે શું કલમ 39(B) હેઠળ ખાનગી મિલકતોને સમુદાયના ભૌતિક સંસાધન તરીકે ગણી શકાય? શું આવી ખાનગી મિલકતો સરકારી અધિકારીઓ દ્વારા સામાન્ય જનતાના લાભ માટે વિતરણ માટે લઈ શકાય છે અને શું આ હેતુ માટે ખાનગી મિલકતો હસ્તગત કરી શકાય છે?