મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે સેવાને પણ પહોંચી છે. ટ્રેક પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ–મુંબઈ રૂટ પર દોડતી કેટલીક મહત્વની ટ્રેનોના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રેલવે તંત્રએ જણાવ્યું છે.
આ ટ્રેનોના રૂટમાં કરવામાં આવ્યો ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 12934 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ આજે માત્ર વલસાડ સુધી જ દોડશે. ત્યારબાદ આ ટ્રેન વલસાડથી અમદાવાદ તરફ પરત રવાના થશે. ઉપરાંત, 12932 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસનું સંચાલન પણ માત્ર સુરત સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યું છે. મુંબઈ તરફના કેટલાક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુસાફરોને રેલવે દ્વારા અપાયેલી મહત્વપૂર્ણ સૂચના
પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું લાઈવ સ્ટેટસ, સમય અને રૂટ અંગેની માહિતી ચકાસવાની અપીલ કરી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં અન્ય ટ્રેનોના સમયપત્રક અથવા રૂટમાં પણ ફેરફાર થઈ શકે છે. તેથી અમદાવાદ–મુંબઈ રૂટ પર મુસાફરી કરનારા તમામ મુસાફરોએ સત્તાવાર રેલવે અપડેટ્સ પર નજર રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરવું જોઈએ.
રેલવે અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હવામાન સામાન્ય બન્યા બાદ ટ્રેન સેવાઓને તબક્કાવાર પૂર્વવત કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
