મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલી યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલા હનુમાન મંદિરના સભા મંડપ (હોલ)ની છત અચાનક ધરાશાયી થતાં ઓછામાં ઓછા 7થી વધુ લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે, જ્યારે 30થી વધુ ભક્તો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
માહિતી મુજબ, મંદિરની સામે નવા સભામંડપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. બપોરના સમયે મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ હોલનું માળખું ધસી પડ્યું. દુર્ઘટના એટલી ઝડપથી બની કે હાજર લોકોને બચાવવાનો સમય પણ મળ્યો નહોતો.
ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લોકો પ્રસાદ લઈ રહ્યા હોય ત્યારે અચાનક છત તૂટી પડતી જોવા મળે છે. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફ તથા સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અનેક ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં માળખાકીય નબળાઈ અથવા નજીક ચાલી રહેલા બાંધકામના કામને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
હાલ બચાવ કામગીરી ચાલુ છે અને મૃતકો તથા ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
