રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આપણો પડોશી દેશ કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરી શકે છે. જો તેણે આવું કર્યું, તો ભારતની કાર્યવાહી એટલી કડક હશે કે જેનું કોઈ ઉદાહરણ નહીં હોય.
મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ભારતે તેના પડોશી દેશ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ચેતવણી આપતા કહ્યું કે જો આ વૈશ્વિક અસ્થિરતાનો ફાયદો ઉઠાવીને કોઈપણ પ્રકારના દુસ્સાહસનો પ્રયાસ કરવામાં આવશે, તો ભારતનો પ્રતિસાદ અભૂતપૂર્વ હશે.

કેરળની ધરતી પરથી રાજનાથ સિંહની ગર્જના
ચૂંટણી પહેલા કેરળમાં આયોજિત એક સૈનિક સન્માન સંમેલનને સંબોધિત કરતા રક્ષામંત્રીએ નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આપણો પડોશી દેશ કોઈપણ દુસ્સાહસ કરી શકે છે. જો તેણે આવું કર્યું, તો ભારતની કાર્યવાહી એટલી કડક અને નિર્ણાયક હશે જેની કોઈ મિસાલ (ઉદાહરણ) નહીં હોય. યાદ રાખજો, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી.”

ઊર્જા સંકટ અને સુરક્ષા પર આશ્વાસન
ઈરાન યુદ્ધના કારણે પેદા થયેલા ઊર્જા સંકટ અને વૈશ્વિક તણાવ પર રક્ષામંત્રીએ દેશને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું, “ભારતીય નૌસેનાના જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ માર્ગો પરથી દેશના ટેન્કરોને સુરક્ષિત એસ્કોર્ટ કરી રહ્યા છે.” દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની અછતના અહેવાલોને તેમણે માત્ર અફવા ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે ભારત કોઈપણ ઊર્જા સંકટને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
કેરળના મોટી સંખ્યામાં લોકો ખાડી દેશોમાં કામ કરે છે. રક્ષામંત્રીએ ખાતરી આપી હતી કે સંકટના આ સમયમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર કોઈ કસર છોડશે નહીં. રાજનાથ સિંહે તેમના સંબોધનમાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે ગયા વર્ષે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ પાકિસ્તાન અને PoKમાં આતંકી માળખાને નષ્ટ કરવા માટે આ ઓપરેશન ચલાવ્યું હતું.
