અસમના સોનિતપુરમાં ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે થયેલી ટક્કરમાં સાત લોકોના મોત થયા છે. આ અકસ્માત નેશનલ હાઈવે 15 પર સર્જાયો હતો.
આ સમયના મોટા સમાચાર અસમથી સામે આવી રહ્યા છે. અહીં સોનિતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે જિલ્લાના નેશનલ હાઈવે 15 પર ટ્યૂલિપ ટી ગાર્ડનથી એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ હતી. એમ્બ્યુલન્સમાં દર્દીની સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ કામગીરી પૂરી કરી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.
સોનિતપુરના SSP બરુણ પુરકાયસ્થના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સ એક દર્દી અને તેના પરિવારના સભ્યોને લઈને તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જઈ રહી હતી. આ દરમિયાન ઢેકિયાજુલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 15 પર આ અકસ્માત થયો હતો. SSPએ વધુમાં જણાવ્યું કે, “છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.” તેમણે એમ પણ જણાવ્યું કે પોલીસ અને ઈમરજન્સી સર્વિસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને કારણે ખોરવાયેલો હાઈવેનો ટ્રાફિક હવે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
અન્ય એક અકસ્માત: બાઈક પુલ પરથી નીચે ખાબકતા 4 યુવકોના મોત
આવી જ એક અન્ય ઘટનામાં મોટરસાઈકલ પુલ પરથી નીચે પડી જતાં ચાર યુવકોના મોત થયા છે. આ અકસ્માત મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં સર્જાયો હતો. શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે બીજાદાંડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસવાહી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. જાણકારી મુજબ, બાઈક પર સવાર ચાર યુવકો પૌડી ગામથી ભેંસવાહી ગામ તરફ જઈ રહ્યા હતા. પુલ પરથી પસાર થતી વખતે રસ્તામાં ખાડાને કારણે મોટરસાઈકલ નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચારેય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું અવસાન થયું હતું.
