વલસાડ, તા. 19 ઓગસ્ટ: વલસાડ શહેરના હાલર તળાવ સામે આવેલી ગોપાલ ડેરીમાં ફૂડ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લેબલ વગરનો 57 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
ફૂડ સેફ્ટી ઓફિસર કુ. ભાવીકા બી. પટેલ દ્વારા કરાયેલી તપાસમાં પનીર પર જરૂરી લેબલ ન હોવાનું સામે આવ્યું હતું. વિભાગે પનીરનો એન્સફોર્સમેન્ટ નમૂનો લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.
દરમિયાન બાકીના 57 કિ.ગ્રા. પનીરનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 15,775 છે, તેનો નગરપાલિકાના સહયોગથી નિયમાનુસાર નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગના જણાવ્યા મુજબ એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ માત્ર દૂધમાંથી બનેલા પનીરનું જ વેચાણ કરી શકાય છે. પનીર પર મિલ્ક પનીર, લો-ફેટ પનીર અથવા ફુલ-ફેટ પનીર જેવી વિગતો ધરાવતું લેબલ હોવું જરૂરી છે.
ગોપાલ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
