વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે લગભગ 35 મિનિટ સુધી ચાલી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર સંબંધિત કોઈપણ બાબતમાં વેપાર સંબંધિત કોઈ ચર્ચા થઈ નથી.
તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારતે ફક્ત પાકિસ્તાનના કહેવા પર જ યુદ્ધવિરામ કર્યો છે. ભારત ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારતું નથી અને ભવિષ્યમાં પણ એવું કરશે નહીં.
ઉપરાંત, પીએમ મોદીએ એ પણ ભાર મૂક્યો કે હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી વોર (પડદા પાછળની લડાઈ) તરીકે નહીં, પરંતુ સીધા યુદ્ધ તરીકે જોશે. ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
વિદેશ સચિવે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને વિગતવાર સમજ્યા અને આતંકવાદ સામે ભારતની લડાઈને સમર્થન આપ્યું.