Gujarat : અમદાવાદના સરખેજ વિસ્તારમાં પ્રેમી સાથે એક મહિના થી રહેતી સગીરાની હત્યા કરીને તેની લાશ કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર મચી ગયો છે. પોલીસે આરોપી પ્રેમી અજય ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સરખેજ વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય દીકરીને અજય ઠાકોર નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. પરિવારે આ બાબતની જાણ થતાં બદનામીના ડરે ગામ છોડી ખંભાત રહેવા ગયા હતા. પરંતુ એક મહિના પહેલા દીકરી ઘરમાં કોઈને જાણ કર્યા વગર પોતાનો જન્મતારીખ આધાર કાર્ડ સાથે ઘરેથી નીકળી ગઈ હતી અને પ્રેમી અજય સાથે રહેવા આવી ગઈ હતી.
પરિવારની જાણ મુજબ દીકરી છેલ્લા એક મહિનાથી અજય ઠાકોર સાથે સરખેજ વિસ્તારમાં રહેતી હતી. દરમિયાન બંને વચ્ચે કોઈ વિવાદ કે મતભેદ થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ અજય ઠાકોરની શોધખોળમાં તજવીજ કરી રહી છે.
સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, “મારી દીકરી અજય ઠાકોર સાથે રહી રહી હતી, પરંતુ હવે તેની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી છે.” પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોમવારે સરખેજના નરીમનપુરા વિસ્તારમાં કેનાલમાં યુવતીની લાશ હોવાની જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. લાશની ઓળખ માટે બોલાવવામાં આવેલા યુવતીના માતાએ મૃતદેહ પોતાની દીકરીનો હોવાનું જણાવી આપ્યું હતું. યુવતીના ગળા અને ચહેરા પર ઈજાના ગંભીર નિશાન હોવાથી આ ઘટના હત્યાની હોવાની પુષ્ટિ થઈ હતી.
હાલ સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસ્તારના CCTV ફૂટેજ, મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ પુરાવા એકત્ર કરવા માટે તપાસ શરૂ કરી છે.
