Tuesday , 21 July 2026
Home ગુજરાત સી.આર. પાટિલના ગઢ નવસારી ભાજપમાં ઉથલપાથલ: જિલ્લા ભાજપના એકહથ્થા નિર્ણય સામે જલાલપોરના 4 હોદ્દેદારોના સમૂહ રાજીનામાથી હાહાકાર
ગુજરાત

સી.આર. પાટિલના ગઢ નવસારી ભાજપમાં ઉથલપાથલ: જિલ્લા ભાજપના એકહથ્થા નિર્ણય સામે જલાલપોરના 4 હોદ્દેદારોના સમૂહ રાજીનામાથી હાહાકાર

નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત બાદ જલાલપોર વિસ્તારમાં ભારે નારાજગી ફાટી નીકળતા પક્ષમાં ઉથલપાથલ સર્જાઈ છે. જલાલપોર વિધાનસભા મતવિસ્તારને ફરી એકવાર અવગણનાની શોકાંતિકા ભોગવાઈ હોવાનો આક્ષેપ કરતા ચાર નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે.

જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના એકહથ્થા અને મનમાની નિર્ણયોને લઈને જલાલપોરના કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અશોક ભગુભાઈ પટેલને મહામંત્રી પદની અપેક્ષા હતી, પરંતુ પદવહેંચણીમાં જલાલપોરને ફરી બાજુએ ધકેલી દેતા તેઓ સહિત ચાર હોદ્દેદારોએ એકસાથે પદ છોડવાનો નિર્ણય કર્યો.

રાજીનામું આપનાર હોદ્દેદારોમાં જિલ્લા ઉપપ્રમુખ અશોક પટેલ, બક્ષીપંચ મોરચા મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચા મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલનો સમાવેશ થાય છે. આ ચારેયે જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને પોતાની નારાજગી સ્પષ્ટ કરી હતી અને ત્યારબાદ ‘કમલમ’ કાર્યાલય ખાતે પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામું મૂકી આવ્યા હતા.

જલાલપોરના કાર્યકરોમાં ચર્ચા છે કે કાળજીએ કામ કરનારાઓને બાજુએ રાખીને મનપસંદ લોકોની પદવહેંચણી કરવામાં આવી છે. લાંબા સમયથી જિલ્લા ભાજપ પ્રમુખ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે જાહેર અસંતોષ રૂપે બહાર આવી છે, જે ભાજપ માટે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં મોટો પડકાર ઊભો કરશે.

ચારે હોદ્દેદારો સ્પષ્ટ કહે છે કે જલાલપોરે વર્ષો સુધી મહેનત કરીને કોંગ્રેસના એકહથ્થા શાસનને તોડી ભાજપનો ગઢ બનાવ્યો હતો. છતાં, દર વર્ષે અવગણના જલાલપોરના હિસ્સામાં આવે છે. “અમે કામ માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ વારંવારની અવગણના સામે મૌન રહી કામ કરી શકાતું નથી,” એવું અશોક પટેલે જણાવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખે મૌખિક રીતે રાજીનામું સ્વીકારવા ઈન્કાર કર્યો હતો, છતાં હોદ્દેદારોના આગ્રહ પર રાજીનામું ટેબલ પર મૂકી દેતા તેને માન્ય રાખવામાં આવ્યું.

નવસારી જિલ્લામાં પક્ષની અંદરની ગતિશીલતાને લઈને જે ગુસ્સો અને અવાજ લાંબા સમયથી દબાયેલા હતા, તે હવે ફાટી નીકળતા પ્રદેશ નેતૃત્વ માટે આ પરિસ્થિતિ ગંભીર પડકાર બની શકે છે.

Related Articles

ગુજરાત

વાંસદામાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ₹12 લાખથી વધુની લૂંટ કરી લૂંટારાઓ કારમાં ફરાર

નવસારી જિલ્લાના વાંસદામાં સોમવારે (20 જુલાઈ) ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની...

ગુજરાત

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: ફર્જ પર તૈનાત RFO વિકાસ દેસાઈ સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવનારી ઘટના...

ગુજરાત

વલસાડમાં પત્રકારોની જનરલ મિટિંગ : પ્રેસ કોન્ફરન્સમાં માત્ર માન્યતા પ્રાપ્ત પત્રકારોને જ પ્રવેશ આપવા માંગ, પોલીસવડાને રજૂઆત

વલસાડ જિલ્લાના પત્રકારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તથા...