વલસાડ જિલ્લાના પત્રકારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તથા બિન-પત્રકાર વ્યક્તિઓની હાજરીને લઈને ઉઠી રહેલી ચિંતાના મુદ્દે જિલ્લાના પત્રકારોએ જનરલ મિટિંગ યોજી મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે પ્રેસ કોન્ફરન્સનો હેતુ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓને અધિકૃત માહિતી પહોંચાડવાનો હોવાથી તેમાં માત્ર પત્રકારોને જ આમંત્રણ આપવામાં આવે.
આ મુદ્દે જિલ્લાના પત્રકારોના પ્રતિનિધિમંડળે વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન જણાવાયું કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ફ્લુએન્સર્સ અથવા બિન-પત્રકાર વ્યક્તિઓની હાજરી જોવા મળી રહી છે, જેના કારણે પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થા, પ્રશ્નોત્તરીની ગંભીરતા અને પત્રકારોની વ્યાવસાયિક કામગીરી પર અસર પડી રહી છે.
પત્રકારોએ રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું કે પ્રેસ કોન્ફરન્સનું આયોજન ખાસ કરીને સમાચાર સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે કરવામાં આવતું હોય છે. તેથી તેમાં માત્ર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ તથા અન્ય માન્ય સમાચાર માધ્યમો સાથે સંકળાયેલા પત્રકારોને જ પ્રવેશ આપવામાં આવે અને અન્ય વ્યક્તિઓને તેમાં સામેલ ન કરવામાં આવે.
આ ઉપરાંત પત્રકારોએ પોલીસ વિભાગ દ્વારા સંચાલિત વિવિધ અધિકૃત વોટ્સએપ ગ્રુપ અંગે પણ રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું કે આ ગ્રુપોનો ઉપયોગ અધિકૃત માહિતી, પ્રેસનોટ, કાયદો-વ્યવસ્થા સંબંધિત માહિતી અને પોલીસ વિભાગના મહત્વપૂર્ણ અપડેટ્સ માટે થતો હોવાથી તેમાં માત્ર પત્રકારોને જ સભ્ય તરીકે રાખવામાં આવે. બિન-પત્રકાર સભ્યોને દૂર કરીને ગ્રુપની વ્યાવસાયિકતા અને ગોપનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું.
જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાએ પત્રકારોની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી હતી અને રજૂ કરાયેલા મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈને નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમણે પોલીસ અને મીડિયા વચ્ચે સકારાત્મક સંકલન જળવાઈ રહે તે માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું.
જિલ્લાના પત્રકારોમાં આ રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પત્રકારોનું માનવું છે કે પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે, અધિકૃત માહિતી યોગ્ય રીતે મીડિયા સુધી પહોંચશે અને પત્રકારત્વની વ્યાવસાયિક ગૌરવ અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે.
નોટ : AI Image
