મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એરફોર્સ અધિકારીની 24 વર્ષીય પત્નીએ બળાત્કાર, બ્લેકમેઇલ, ખંડણી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસના ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતાના જણાવ્યા મુજબ આરોપીઓએ તેને નશીલી વસ્તુ પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં વીડિયો તથા ફોટાઓના આધારે બ્લેકમેઇલ કરીને પૈસાની ઉઘરાણી કરી હતી.
આ કેસમાં એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલા રડતા-રડતા “મને જવા દો” કહેતી જોવા મળે છે, જ્યારે એક વ્યક્તિ તેના હાથ પકડીને ધાર્મિક મંત્રોચ્ચાર કરતો દેખાય છે. મહિલાનો આરોપ છે કે તેની ઇચ્છા વિરુદ્ધ ધર્મ પરિવર્તનની વિધિ કરાવવામાં આવી હતી અને તેના પર સતત દબાણ કરવામાં આવતું હતું.
પોલીસે આ મામલે મુખ્ય આરોપી અય્યાઝ મદારે અને તેના સાથીદાર અમીન શેખને ઝડપી લીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે અય્યાઝ પીડિત મહિલાનો પૂર્વ સહાધ્યાયી હતો. આ ઉપરાંત, મહિલાનું કથિત રીતે ધર્મ પરિવર્તન કરાવનાર મૌલાનાની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. ફરાર મૌલાનાને પકડવા માટે પોલીસની વિશેષ ટીમને મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવી છે અને વિવિધ સ્થળોએ તપાસ ચલાવવામાં આવી રહી છે.
